ભાવનગર.
૨૬ સપ્ટેમ્બર-૧૭
ભાવનગર નજીકના ભંડારિયા ગામમાં
આવેલા શ્રી બહુચરાજી માતાના સાનિધ્યમાં આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન આપ્યા વિના
પારંપરિક રીતે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. આજે પણ અહીની નવરાત્રીમાં આપણી
સંસ્કૃતિની મહેક આવે છે.અહી બહુચર માતાજીના સાનિધ્યમાં માણેકચોકમાં આવેલ શક્તિ
થીયેટર રંગમંચમાં નવ દિવસ પારંપરિક ધાર્મિક ઐતિહાસિક નાટકો ભજવવામાં આવે છે, અને આ
નાટકોનો પણ અનોખો ઈતિહાસ છે.
ભાવનગર નજીકના ભંડારિયા ગામમાં
નવરાત્રી મહોત્સવની ૩૦૦ વર્ષ કરતા પણ જૂની પરંપરા ચાલી આવી રહી છે. આ પરંપરા મુજબ
અહીં ઉજવાતા નવરાત્રી ઉત્સવમાં આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન આપ્યા વિના
શાસ્ત્રોક્ત વિધી અનુસાર નવરાત્રી ઉજવાય છે. સાથે નવરાત્રી દરમિયાન માણેકચોકના શક્તિ થિયેટર્સનાં રંગ મંચ પર
ધાર્મિક-ઐતિહાસીક નાટકો ભજવવામાં આવે છે. ભંડારિયાની ભવાઇ ખુબ જાણીતી અને લોકપ્રીય
છે. ભંડારિયાની ભવાઇ જોઇને દાંતાના રાજવીએ મુંડકી વેરો માફ કરેલો. જે વાતનું આજે
પણ ગોહિલવાડ ગૌરવ લે છે.
અહીનો ઈતિહાસ જોઈએ તો આજથી સાત
દસકા પૂર્વની આ વાત છે. ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત
ભવાઇ વેશો ભજવાતો હતા ત્યારે ભવાઇ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં
માતાજીનાં 'ગોખ' પાસે
ભવાઇ ભજવવા જવાનું નક્કી કર્યું. પરંતુ ત્યાના રજવાડામાં એવો એક નિયમ હતો કે
બ્રાહ્મણ હોય તે જ વ્યક્તિ ભવાઇ વેશ માતાજીનાં ગોખની સામે પડમાં રમી શકે. જ્યારે સૌરાષ્ટ્રનાં ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં
ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિનાં લોકો ભવાઇ રમતા જે હજું આજે પણ એ જ સ્થિતિમાં રમાય
છે. ભંડારિયાના લોકોએ ત્યાં ભવાઈ વેશ ભજવીને ત્યાના રાજવીઓને ખુશ કર્યા ત્યારે
ત્યાના રાજવીએ પોતાના ભોજપત્રના કાગળ પર ભાવનગર શહેરના ભાવેણાના ભડી ભંડારિયા
ગામેથી પધારતા કોઇપણ સ્ત્રી, પુરૃષ, અબાલ
વૃધ્ધ બાળકોનો 'મુંડકાવેરો' ન લેવાનો
આદેશ આપી તમામ ભવાઇ વેશના કલાકારોનું બહુમાન આપી નવાજ્યાં હતાં. ભંડારિયા માં આજે
પણ વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ હિંદુ મુસ્લિમ સાથે મળી ને માતાજી ની આરતી કરી
ને નાટક રમવું શરુ કરે છે.
ભંડારિયાનાના
મણેકચોકમાં રમાતી ભવાઇ બગદાણાવાળા પૂ.બજરંગદાસ બાપા પણ નીહાળવા આવતા. ભંડારિયામાં
આજે પણ પરંપરા મુજબ નાટકો રમવામાં આવે છે. સમયનાં બદલાતા વ્હેણ સાથે ભવાઇનાં
સ્થાને નાટક યોજવામાં આવે છે. પરંતુ નાટકો જોવા માટે પણ બહારગામથી લોકોની ભીડ જામે
છે.આજેય પણ ભંડારિયા ગામમાં આ ચોકમાં
ડિસ્કો દાંડિયાને સ્થાન નથી. તેમજ આ નાટક જોવા આવનાર દરેક વ્યક્તિ ને એક સમાન જ
આસન છે. કોઈ પણ નેતા હોય કે કલેકટર આજે પણ આ નાટકમાં આ ચોકમાં ઉચા આસને બેસી ના
શકે. શ્રી ભંડારિયા બહુચરાજી મંદિર દ્વારા કોઇ દિવસ ફંડફાળો કે ઉઘરાણુ થતું નથી.
મંદિરમાં ભુવા ડાક કે ધુણવા દેવામાં આવતા નથી. અહિં ગમે તેટલી મોટી ભેટ ધરનાર
કોઇપણ વ્યક્તિની વ્યક્તિગત જય બોલાતી નથી. માત્ર 'અંબે માતકી જય...' એમ જ બોલાય છે. આઠમનાં દિવસે
માતાજીનો સ્વાંગ રચાય છે. આ પ્રસંગે માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મેળો જામે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો